Communication between heart to heart...
ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?
ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.
એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.
છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.
મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?
ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.
અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?
Labels: Poems